Sunday, October 2, 2011

cancer


કેન્સર માટે ઘણું લખાયું છે અને તમે તેને વિષે ઘણું બધું જાણો છો. આજે મારે એવા નવ પ્રકારના કેન્સરની વાત કરવાની છે જેને માટે તમે થોડીક જ અગમચેતી રાખો તો તમે ઘણી તકલીફોમાંથી બચી જાઓ. આમ છતાં 'કેન્સર એટલે કેન્સલ' એવું બધા જ કેન્સર માટે માનવાની જરૃર નથી. આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં જ્યારે કેન્સરના તાત્કાલિક નિદાન માટેનાં સાધનો નહોતાં તેમજ કેન્સરને મૂળમાંથી જ દૂર કરવા માટેની અકસીર દવાઓ શોધાઇ નહોતી અને કેન્સર કોને, શા માટે, અને ક્યારે થાય તે વિષેની પૂરેપૂરી અને ખરી સમજ લોકોમાં નહોતી ત્યારની વાત જુદી હતી.
તે વખતે કેન્સરનું નિદાન થાય ત્યારે કેન્સરના કોષ આખા શરીરમાં ફેલાઇ ગએલા હોય તેવી પરિસ્થિતિ હતી. એ વખતે ડોકટરો પાસે એટલે કે એલોપથીમાં કે બીજી કોઇપણ ઉપચાર પધ્ધતિમાં તેનો દૂર કરવાનો ૧૦૦ ટકા ઉપાય નહોતો. એ વખતે કેન્સર થવાનાં સંભવિત કારણોની પણ પાકે પાયે ખબર નહોતી અને વૈદકની ભાષામાં 'અસાધ્ય' રોગ ગણાતો હતો. હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે.

કદાચ એવો સવાલ થાય કે પહેલાં - ૨૦ કે ૨૫ વર્ષ પહેલાં- આટલા બધા રોગો નહોતા અને હવે આજના જમાનામાં આટલા બધા રોગ કેમ થાય છે. પહેલાં રોગી ઓછા અને તંદુરસ્ત લોકો વધારે હતા અને અત્યારે રોગીઓ વધારે છે. આવું કેમ થયું તો એક ખાસ વાત કાયમ યાદ રાખશો કે તમને કે કોઇને પણ કોઇ રોગ થાય તેમાં તમારી જીવન શૈલી જવાબદાર છે. જૂના જમાનાની અને આજની જીવન શૈલીમાં ફરક હતો. તે વખતે કસરત એટલે કે હાથ પગને હલાવવાનું કામ રોજિંદી દિનચર્યામાં થઇ જતું હતું. ખોરાક પૌષ્ટિક પ્રમાણસર અને પ્રદૂષિત પદાર્થો વગરનો હતો. મનની શાંતિ હતી. તનાવ પ્રમાણમાં ઓછો હતો. હરીફાઇ ઓછી હતી. પરસ્પર દયા, માયા, અનુકંપા હતી જ્યારે આજે પોલ્યુશન અને પોપ્યુલેશનના જમાનામાં ગળાકાપ સ્પર્ધા, તનાવથી ભરપૂર અજંપો, ક્રોધ અને અપેક્ષાનો માહોલ અને બાકી હોય તેમ ઘરનું કે બહારનું બધું કામ માણસ કે મશીનથી થવાથી આરામ અને આળસવાળા 'રીમોટ કલ્ચર'ની જીંદગી થઇ ગઇ અને આનાથી પણ ચાર ચાસ ચઢી જાય તેવી પોષણવગરનો ખોરાક- ખાવાની ટેવો અને વ્યસનો. કહેવું છે કાંઇ. તમને રોગ ના થાય તો કોને થાય?

તો ચાલો, કોઇપણ પ્રકારના કેન્સર માટે 'અગમચેતી'ની વાત કરીએ. મનુષ્યના શરીરને મૃત્યુ સુધી લઇ જનારા કેન્સર વિષે વાત શરૃ કરતાં પહેલા 'ફ્રી રેડીકલ અને એન્ટી ઓક્સીડંટ'ની થીયરી વિષે થોડી વાત કરીએ. આપણા શરીરમાં હવા, પાણી અને ખોરાક મારફત અનેક સારા અને નરસા પદાર્થો જાણે અજાણે લઇએ છીએ. માનવીના શરીરનું જન્મથી મૃત્યુ સુધીનું આયોજન કુદરતે અદભુત રીતે કર્યું છે. ખોરાક, પાણી અને હવા મારફતે લીધેલા બધા જ પદાર્થોમાંથી શરીરને લાંબુ જીવાડવા જરૃરી તત્વોને લઇ લેવાનું (એબસોર્બ) કામ નાના આંતરડાને સોંપ્યું છે અને ખરાબ તત્વોને પાણીમાં ઓગાળી બહાર કાઢી નાખવાનું કામ કિડનીને અને ઘનપદાર્થોને મળ મારફતે બહાર કાઢી નાખવાનું કામ મોટા આંતરડાને સોંપ્યું છે. માનવી શરીરને નુકસાન થાય તેવી વસ્તુઓ ઘણીવાર જાણી જોઇને દાખલ કરે છે. દા.ત. સિગરેટ, તમાકુ, દારૃ, કેફી પદાર્થો અને જરૃરી કે બિનજરૃરી દવાઓ.

હવે યાદ રાખો. શરીરમાં પહેલાં જણાવેલી જાણે અજાણે નાખેલી વસ્તુઓમાં રહેલા પ્રદૂષિત પદાર્થો (કચરો) અને તેમાં ખોરાક હવા પાણીમાં રહેલી સારી જરૃરી વસ્તુઓ જે શરીર લઇ લે ત્યાર પછી શરીરને બિનજરૃરી બાકી રહેલી વસ્તુઓ - આ બધાને વૈજ્ઞાાનિકોએ નામ આપ્યું છે ફ્રી રેડીકલ જેની ફોર્મ્યુલા છે ‘O'. આ ફ્રી રેડીકલને શરીરની બહાર કાઢી નાખનારા તત્વોને નામ આપ્યું છે 'એન્ટી ઓક્સીડંટ' જેની ફોર્મ્યુલા છે ‘O2'. આનો અર્થ તમારા શરીરમાં જેટલા વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડંટ (O2) હોય તો તમારા શરીરમાં ફ્રી રેડીકલ (O) નાશ પામે. આધુનિક મત પ્રમાણે શરીરને રોગગ્રસ્ત કરનારા તત્વો ફ્રી રેડીકલ છે. પરદેશની કોઇ નાઇટ ક્લબની કલ્પના કરો. અનઅધિકૃત અને તોફાની તત્વો ક્લબમાં ઘૂસી જઇને ક્લબમાં હાજર સભ્યોને પરેશાન ના કરે તે માટે ક્લબના માલિક મજબૂત ગાર્ડ રાખે જેને 'બાઉન્સર' કહેવાય. હવે બરોબર સમજો. તમારૃ શરીર એટલે ક્લબ. તોફાની તત્વો એટલે ફ્રી રેડીકલ અને બાઉન્સર એટલે 'એન્ટી ઓક્સીડંટ'. આનો અર્થ કે શરીરમાં ફ્રી રેડીકલનો ભરાવો થઇ જાય તો આ ફ્રી રેડીકલ શરીરના જે જે અવયવને પરેશાન કરે તે તે અવયવના રોગ થાય. પેન્ક્રીઆસને તકલીફ કરે તો ડાયાબીટીસ પણ થાય અને કેન્સર પણ થાય. લીવરને તકલીફ કરે તો લીવરનું, કિડનીને તકલીફ કરે તો કિડનીનું કેન્સર થાય. એજ રીતે હાડકાને, આંતરડાને, પુરૃષોમાં પ્રોસ્ટેટ અને સ્ત્રીઓમાં ઓવરી, ગર્ભાશય કે સ્તનનું કેન્સર થવામાં જવાબદાર તમારા શરીરમાં વિપુલ પ્રમાણમાં રહેલા 'ફ્રી રેડીકલ' છે. જો તમારે કેન્સર ના થવા દેવું હોય તો 'એન્ટી ઓક્સીડંટ'ને શરણે જવું પડશે.

શરીરને રોગથી (કેન્સરથી) દૂર રાખનારા મુખ્ય એન્ટી ઓક્સીડંટ ૧. વિટામિન એ, જે બીટાકેરોટીન સ્વરૃપે આપણને ગાજર, કોળું, પપૈયું, કેળાં, પાલખ, કોબી, ભાજીમાંથી મળે છે. ૨. વિટામીન સી, જે બધાં જ ખટમધુરાં ફળો લીંબુ, આંબળા, નારંગી, મોસંબી, પપૈયું, જામફળ, કોબી વગેરોમાંથી મળે છે. ૩. વિટામિન ઈ, જે ઘી, દૂધ, તેલ અને સીડઝ (બી)માંથી મળે છે. ૪. થેલેનીયમ જે એક મિનરલ છે અને અનાજ- કઠોળમાંથી મળે છે. ઉપરની ચાર વસ્તુઓ તમારે ખોરાક મારફતે લેવાની છે અને આ બધા કરતાં શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડંટ છે તે તમારે નિયમિત કરવાની છે તે, ગમતી કસરત ફકત ૪૦ મિનિટ- જેનાથી તમારા શરીરમાં ખૂબ ઓક્સીજન જશે. આટલી વાત તમારા શરીરમાં કોઇપણ અંગના કેન્સરને થતા અટકાવવા માટે 'અગમચેતી'ની વાત કરી. હવે વાત કરીશું. માનવીને પરેશાન કરનારા મુખ્ય મુખ્ય કેન્સરની. તે વાંચતા પહેલા આટલું જાણો.

દર વર્ષે જુદા જુદા પ્રકારના કેન્સર થએલા સાત લાખ નવા દર્દીઓ ભારતમાં થાય છે. આના ૩૩ ટકા એટલે કે બેથી અઢી લાખ લોકોને કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ અને સિગરેટનું વ્યસન છે. સ્ત્રીઓને થનારા કેન્સરમાં ગર્ભાશયના કેન્સર જોખમી હોય છે જ્યારે સ્તનના કેન્સરમાં મટવાની કે કાબુમાં  આવવાની ૧૦૦ ટકા શક્યતા છે.

૧. ફેફસાનું કેન્સર ઃ
થવાનું કારણ ઃ બીડી, સિગરેટ અને  તમાકુનો સતત ઉપયોગ
જોખમ ઃ વ્યક્તિના રેઝીસ્ટન્સ ઉપર આધાર રાખે પણ તમાકુના ઉપયોગ શરૃ કર્યા પછી પાંચથી પચીસ વર્ષમાં ફેફસાનું કેન્સર ચોક્કસ થાય જ. અને એકવાર થયું એટલે કે પાકે પાયે નિદાન થયું પછી એક માસથી છ માસમાં મૃત્યુ થવાના ચાન્સ ૧૦૦ ટકા.

લક્ષણો ઃ સતત ઉધરસ આવે, કફમાં લોહી પડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, ખોરાક ગળા નીચે ઉતારવામાં તકલીફ પડે. વજન ઓછું થાય.

ફેફસાનું કેન્સર છે તેની ખાત્રી કેવી રીતે થાય ?
સાદો છાતીનો એક્સ રે જોઇને ખબર પડે. તકલીફ શરૃ થાય પછી નિદાન કરાવવા જાઓ તો ૮૦ ટકા કિસ્સામાં મોડું થઇ ગયું. એમ ડોક્ટર જણાવે. વધારાની તપાસમાં સી.ટી.સ્કેન, ગળફાની તપાસ અને બાયોપ્સીથી ખાત્રી થાય.
તમને થવાનું જોખમ (ડેન્જરસઝોન) કેટલું

૧. બીડી, સિગરેટ અને ગુટકાના ઉપયોગ જેટલા વહેલા (યુવાન વયે) શરૃ કરો એટલા જલદી ૫૦ થી ૭૦ વર્ષે ફેફસાનું કેન્સર થાય.

૨. તમાકુનો ઉપયોગ કરનારા ૭૦ વર્ષ સુધી જ જીવે, તેનાથી વધારે નહીં.

૩. ગ્રેનાઇટની ખાણોમાંથી 'રોડોન' નામનો વાયુ નીકળે જે ફેફસાનું કેન્સર કરે.

અગમચેતીના પગલાં

૧. તમાકુનો ઉપયોગ બંધ ૨. દર વર્ષે છાતીનો એક્સરે કરાવો. ૩. ગળફામાં લોહી પડે તો ટી.બી. છે કે કેન્સર તેનું જલ્દી નિદાન કરાવો. ૪. સિગરેટના ધુમાડા વચ્ચે કામ કરવાનું તદ્દન બંધ કરો. ૫. ખૂબ પાણી, ફ્રુટ જ્યુસ, નાળીયેરનું પાણી પીઓ. ૬. કસરત નિયમિત કરો. જેથી તમારો રેઝીઝટન્સ વધે. ૭. ફળો અને કાચાં શાકભાજી વધારે ખાઓ, જેના વિટામિન-મિનરલ તમને રોગ આવતો અટકાવવામાં મદદ કરશે. ૮. તમારો અભિગમ હકારાત્મક (એટીટયુડ પોઝીટીવ) રાખો.

આવું કરવાથી તમને શું ફાયદો થશે ?
૧. તમાકુ બંધ કરવાથી ફેફસાના કેન્સરથી મરવાના ચાન્સ અર્ધા જેટલા ઘટી જશે.
૨. ૧૦ વર્ષ પછી તમે નોર્મલ થઇ જશો. કોઈ ડર નહીં રહે.
૩. તમારો અનુભવ (સાજા થવાનો) રોજેરોજ તમાકુ ખાનારાને કહીને તેમને વેળાસર તમાકુ છોડી દેવાનું સમજાવશો.

૨. આંતરડાનું કેન્સર
કોને થાય ? ૧.૭૦ થી ૮૦ ટકા પુરૃષોને ૪૦ થી ૫૫ વર્ષમાં થવાના ચાન્સ ૧૦૦ ટકા હોય. ૨. રેસા (ફાઈબર) વગરનો અને ખૂબ ચરબીવાળો ખોરાક અમર્યાદિત પ્રમાણમાં ખાનારાને થવાના ચાન્સ ૭૦ થી ૮૦ ટકા છે. ૩. સંગ્રહણી અથવા ક્રોહનડીસીઝ (આંતરડામાં ચાંદાં પડવાનો રોગ) હોય ત્યારે થાય. ૪. આંતરડામાં મસા (પોલીપ) થયા હોય. ૫. આંતરડાના કેન્સરની ફેમીલી હિસ્ટરી (વારસાગત) હોય.

ખબર કેવી રીતે પડે ? ૧. કબજીયાત કે ઝાડા થઇ જવાની ફરિયાદ બે અઠવાડિયામાં કે તેથી વધારે હોય. ૨. ઝાડામાં ખૂબ ચીકાશ (મ્યુક્સ) કે લોહી પડવાની ફરિયાદ હોય. ૩. હંમેશા પેટમાં ભાર લાગે જે સંડાસ જઇ આવ્યા પછી પણ સતત રહે. ૪. સંડાસ જતી વખતે પેટમાં બહુ દુખે. ૫. પેટમાં આખો દિવસ આંકડી આવે. (ખૂબ દુખ્યા કરે) ૬. લોહી અને વજન ઓછું થાય.

આંતરડાના કેન્સની ખબર કેવી રીતે પડે ?

૧. ઉપરનાં લક્ષણ હોય ત્યારે પેટના રોગોના સ્પેશ્યાલીસ્ટને (ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ અને ગેસ્ટ્રો સર્જનને) વિના વિલંબે બતાવવું જોઇએ. જેટલું જલદી જાઓ તેટલું તમારા લાભમાં છે. ૨. વધારાની તપાસમાં એ. સીગ્મોઇડોસ્કોપી બી. કોલોનોસ્કોપી. સી. સોનોગ્રાફી. ડી. રેકટલ એક્ઝામીનેશન. ઇ. ઝાડામાં લોહી જાય છે કે નહીં માટે ઝાડાની તપાસ કરાવવાથી ખબર પડે. ૩. ઉપરની તપાસમાં ટયુમર (ગાંઠ) કે નાની નાની કેન્સરની ગાંઠ દેખાય તો બાયોપ્સી કરાવી લેવાથી ખાત્રી થાય.

અગમચેતીનાં પગલાં કયાં ?
૧. ૫૦ વર્ષ પછી દર વર્ષે આંતરડા સ્પેશ્યાલીસ્ટને બતાવી લેવું જોઇએ. ૨. ફાઈબર (રેસા) વાળો ખોરાક,જેમાં આખું અનાજ (ચાળ્યા વગરનો લોટ), કઠોળ,બાજરી, મકાઇ, જુવાર, ઉગાડેલા કઠોળ, ૨૦૦ ગ્રામ જેટલાં કાચાં કે બાફેલાં શાકભાજી, તલ, અળસી (જેમાંથી વિટામીન ઇ મળે.), ખટમધુરાં ફળો (લીંબુ, નારંગી, આંબળાં, સફરજન, પપૈયું) જેમાંથી વિટામીન સી મળે. ફાઈબર અને વિટામિન ઇ અને સી કેન્સરના કોષોને શરીરમાંથી કાઢી નાખવામાં મદદ કરશે. ૩. વારસાગત હોય કે વધી ગયું હોય તો આંતરડાના તેટલા ભાગને કાપી દૂર કરવો

૩. સ્તનનું કેન્સર
કોને થાય ઃ ૧. ગામડામાં રહેનારી ૩૦ વર્ષથી ૬૫ વર્ષની ઉંમરની સ્ત્રીઓમાંદર ૬૦ સ્ત્રીમાંથી ૧ સ્ત્રીને, શહેરમાં રહેનારી દર ૩૦ સ્ત્રીમાંથી ૧ સ્ત્રીને સ્તનનું કેન્સર થવાની શક્યતા છે. ૨. પિતા અને માતા બન્ને બાજુએ છેલ્લી બે પેઢીમાં કોઇને પણ સ્તનનું કેન્સર થયું હોય તો સ્તનનું કેન્સર થવાના ચાન્સ ૫૦ ટકા છે. ૨. ૧૨ વર્ષ પહેલાં માસિક ધર્મ(પીરીયડ) ચાલુ થયો હોય. ૩. મેનોપોઝ ૫૫ વર્ષ પછી આવ્યો હોય. ૪. ફેમીલી પ્લાનીંગની દવાઓ લઇને ૩૦ વર્ષ સુધી ગર્ભવતી થવાનું રોકેલ હોય. ૫. બાળકો થયા ના હોય. ૬. બાળક થયા હોય તો પણ તેમને ધાવણ જલદી છોડાવી દીધું હોય. ૭. વધારે પડતું (૮૦ કિલોથી વધારે) વજન હોય.

કેવી રીતે ખબર પડે ઃ ૧. બગલમાં કે સ્તનમાં ગાંઠ દેખાય. ૨. સ્તનમાં ઝીણું ઝીણું દુખ્યા કરે. ૩. નીપલ્સ (ડીટડી)માંથી ચીકાશ અને લોહી નીકળે. ૪. નીપલની આજુબાજુ ચામડી ખેંચાઈને ખાડો પડયો હોય. ૫. નીપલ અંદરની બાજુ ઉલટી થઇ હોય. આમ છતાં સ્તનની દરેક ગાંઠ કેન્સરની જ હોય એવો કાયદો નથી. એટલે મેમોગ્રાફીમાં ગાંઠનું નિદાન થયું હોય ત્યારે બાયોપ્સી કરી કેન્સરની ખાત્રી કરી લેવી જોઇએ.

અગમચેતીના પગલાં કયાં ઃ ૧. વીસ વર્ષ પછી દરેક સ્ત્રીએ સ્તનની તપાસ (ગાંઠ માટે) કરવાનું સ્ત્રી રોગ નિષ્ણાત પાસે શીખી લેવું જોઇએ. ૨. ૫૦ વર્ષ પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવી લેવી જોઇએ. ૩. નિયમિત ૪૦ મિનિટની ગમતી કસરત કરવાથી અને ખોરાક પર કાબુ રાખવાથી વજન ઓછું રહેશે કે થશે અને ઇસ્ટ્રોજન લેવલ ઓછું રહેશે. ૪. લગ્ન કર્યા હોય તો ૩૦ વર્ષ પહેલાં બાળકનું પ્લાનિંગ કરી લેશો. ૫. બાળકનું ધાવવાનું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચાલુ રાખશો. ૬. હવે મોટાં શહેરોમાં જીન્સની ખાસ તપાસ થાય છે તે કરાવી બી.સી.આર.એ. ૧ અને બી.સી.આર.એ. ૨ છે કે નહીં તે નક્કી કરાવશો, જેથી તમારા ડોક્ટરને કઈ સારવાર કરવી એ નક્કી કરી શકે. સ્તનના કેન્સરમાં મટવાની કે કાબૂમાં આવવાની ૧૦૦ ટકા શકયતા છે.

આજે ત્રણ પ્રકારના ખતરનાક કેન્સર અંગે અગમચેતીનાં પગલાની વાત કરી. હવે પછી બાકીના ખતરનાક કેન્સરની વાત કરીશું. ફક્ત એટલી વિનંતી કે આ બધું વાંચી ચાલુ ગાડીએ ચઢી બેસવાની ભૂલ કદાપી ના કરશો. 'પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર' એ વાત યાદ રાખશો.



No comments:

Post a Comment